નિર્ભીક પત્રકાર પ્રશાંત દયાળે જાતે જોયેલીજાણેલી હકીકતોની સ્વસ્થ રજૂઆત
'આ દસ્તાવેજ આખરી સત્ય રજૂ કરે છે એવો કોઈ દાવો નથી. સંભવ છે કે આજે જેને હું સત્ય માનું છું, કદાચ આવતી કાલે મારા માટે જ તે બદલાયેલું સત્ય હોય. પણ આ પુસ્તકમાં એક પત્રકાર તરીકે કોમી રમખાણો દરમિયાન મેં અનુભવેલી વ્યથા અને સંવેદનાની અભિવ્યક્તિ છે. અહીં કોઈ સંપ્રદાય કે સમુદાયને નારાજ કરવાની કે કોઈને સારું લગાડવાની વાત નથી. મેં જે જોયું છે, જે અનુભવ્યું છે, તેને શબ્દોમાં, પાનાં પર પૂરી જવાબદારી સાથે મૂકવાનો એક પ્રયાસ છે. આવનારી પેઢીને કદાચ ૨૦૦૨માં થયેલાં રમખાણ વિશે જાણવું હશે ત્યારે મને લાગે છે કે આ પુસ્તકથી એક નાનકડી પગદંડી તેમને મળી રહેશે. પુસ્તક લખવાની શરૂઆત કરી ત્યાંથી તેનાં અંત સુધી કોઈ એક 'સત્ય' સાથે હું સંમત થયો હોઉં તેવું મને નથી લાગતું. એટલે જ હું માનું છું કે ૨૦૦૨નાં કોમી રમખાણોનું અધૂરું સત્ય ક્યારેક પૂર્ણ રૂપમાં બહાર નહીં આવે. જો ઈશ્વર મને પૂછે કે 'તને શું આપું?’ તો હું માગીશ, મારો દેશ, મારો પ્રદેશ રમખાણમુક્ત હોય.’