'મુંબઇની બે ટિકિટ'ને બદલે 'શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા' માગનારા, રેલવે સ્ટેશનને 'અગ્નિરથવિરામસ્થાન' કહેનારા શુદ્ધ ગુજરાતીના ઝનૂની આગ્રહી ભદ્રંભદ્રનું પાત્ર સો વર્ષ પછી પણ જડતા-રૂઢિચુસ્તતાના પ્રતિક તરીકે અમર છે. કાયમી સાથીદાર અંબારામ સાથે ભદ્રંભદ્ર એકવીસમી સદીના બીજા દાયકાના ગુજરાતમાં આવે અને તેમનો પનારો અનામત આંદોલનથી માંડીને ટીવી ચેનલ-મોબાઇલ-કમ્પ્યુટર-રેસ્ટોરાં જેવી આધુનિક બાબતો સાથે પડે ત્યારે? અને આંદોલનકારીઓ સાથે ભળેલા ઉપવાસી ભદ્રંભદ્ર છેક મુખ્ય મંત્રી સુધી પહોંચી જાય તો? ભદ્રંભદ્રના પુનરાવતારની હાસ્યકટાક્ષથી ભરપૂર કથા.