સાર્થક જલસો’ના છઠ્ઠા અંકમાં સમૃદ્ધ-નક્કર અને ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવા વિષયો પરના લેખોની પરંપરા આગળ વધી છે. જીવનને વ્યાપકતાથી જોતાં, ‘હું’કાર વગરનાં આત્મકથનાત્મક લખાણોમાં દીપક સોલિયાએ ‘મારી પ્રેમીકાઓ’ એ શીર્ષક હેઠળ પોતાના બાયોકૅમેસ્ટ્રીના અભ્યાસના અનુભવો, તેમના તેજસ્વી માર્ગદર્શક અને તેમની સાખે કેટલીક મૌલિક થિયરીની વાત અત્યંત રોચક ઢબે કરી છે. ‘સફારી’ના સંપાદક હર્ષલ પુષ્કર્ણાએ એક અનોખા વ્યક્તિત્વ--સંશોધક અને તત્ત્વચિંતક-- રવજીભાઇ સાવલિયાનો અંતરંગ પરિચય કરાવ્યો છે, તો હસિત મહેતાએ ગુજરાત જેમની પૂરતી કદર કરી ન શક્યું એવા ગાંધીયુગના ‘અનુવાદ સેનાપતિ’ નગીનદાસ પારેખના પ્રદાનને ન્યાય કરતો આલેખ આપ્યો છે.
પાઠ્યપુસ્તકોમાં થતાં ચેડાંની પરંપરામાં એક સદીથી પણ જૂની, કવિ નર્મદના ગદ્ય સાથે ચેડાંની વિગતો વિશે રતિલાલ બોરીસાગરનો અભ્યાસ બીરેન કોઠારીએ સરળ શબ્દોમાં મૂકી આપ્યો છે, તો પ્રકાશ. ન. શાહે ઉવીશ કોઠારીને આપેલા દીર્ઘ ઇન્ટરવ્યુમાં કટોકટીકાળની અનેક ઓછી જાણાતી વાતોથી માંડીને સંઘ પરિવાર સાથેના તેમના જૂના સંબંધ અને અંગત સંભારણાં અગાઉ કદી પ્રગટ ન થયેલી તસવીરો સાથે ખુલ્લાં મૂકી દીધાં છે. યુવા કવયિત્રી અનુષ્કા જોષીએ હિટલરની યાતનાશિબિરનો ત્રાસ વેઠનારી બે મહિલાઓની પોતે લીધેલી મુલાકાતનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે, તો યુવા લેખિકા આરતી નાયરે અમદાવાદના બૉમ્બે હૉટેલ વિસ્તારોમાં કચરાના ઢગ વચ્ચે વસેલાં બાળકોને ભણાવવાની પ્રક્રિયાનું સ્વસ્થ જાતતપાસ કરી છે. ૧૯ વર્ષના વિદ્યાર્થી શારીક લાલીવાલાએ અમદાવાદના જુહાપુરા વિસ્તારનું વાસ્તવિક નિકટદર્શન કરાવ્યું છે.
હિંદી ફિલ્મોના વિલનોનાં અવનવાં નામ જેવા વિષય પર સલિલ દલાલે અધિકારપૂર્વક રસપ્રદ વિગતો નોંધી છે. અશોક ભાર્ગવ-લતા શાહે ઓછા જાણીતા ઇશાન ભારતનું પ્રવાસવર્ણન સરળ શબ્દોમાં આપ્યું છે, તો શિક્ષણ સાથે સંકળાયેલાં ૠતુલ જોષી-મીરાં થૉમસે ભાવિ શિક્ષણપદ્ધતિ કેવી હોવી જોઇએ, એ વિશેનાં કેટલાંક અભ્યાસપૂર્ણ તારણ રજૂ કર્યાં છે.
બે પૂંઠા વચ્ચે આટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સામગ્રી ‘સાર્થક જલસો’ની અસલી ઓળખ છે
છૂટક નકલ : કિંમત રૂ. ૭૦